Saturday, March 9, 2024

ઉતાવળો નિર્ણય પસ્તાવું

એરપોર્ટ પર એક મહિલાએ તેની ફ્લાઇટની રાહ જોતી વખતે સમય પસાર કરવા એક પુસ્તક અને કૂકીઝ ના પેકની ખરીદી કરી. 
વેઈટીગ લોન્જમાં એક સોફા પર બેસીને તે  પુસ્તક વાંચનમાં મશગૂલ થઈ ગઈ.
અચાનક તેનું ધ્યાન ગયું તો જોયું કે એક માણસ તેની બાજુમાં બેસીને બંને વચ્ચે ની જગ્યામાં રાખેલા પેકમાં થી કૂકીઝ ખાઈ રહ્યો હતો.  
 આ દ્રશ્ય જોઈ ને તેને જરા અજુગતું લાગ્યું. 
પરંતુ તેણે તે પુરુષ ની અવગણના કરી અને પેકમાં થી કૂકીઝ લઈને ખાવાની સાથે સાથે વાંચવાનું ચાલુ રાખ્યું.

જેમ જેમ વધુ મિનિટો પસાર થતી ગઈ તેમ તેમ પેકમાં થી કૂકીઝ ઓછા થતા ગયા. 
મહિલાને હવે ચીડ ચઢી કારણકે તે જ્યારે પેકમાં થી એક કૂકી ઉઠાવી ને ખાતી હતી ત્યારે પેલો માણસ પણ એક કૂકી લેતો હતો.
પેકમાં હવે છેલ્લી એક જ કૂકી બાકી રહી.
તે સ્ત્રી એ વિચાર્યું કે હવે પેલો માણસ શું કરશે.. 

 નર્વસ થઈને હસતાં હસતાં એ માણસે છેલ્લી કૂકી લીધી અને તેને અડધી તોડી નાખી. અડધો ભાગ તેણે મોંમાં મૂક્યો અને બાકીનો અડધો ભાગ મહિલાને ઓફર કર્યો.
મહિલાએ તેની પાસેથી કૂકી લગભગ છીનવી  લીધી . તેણે મનમાં વિચાર્યું  કે આ માણસ કેટલો અસભ્ય અને અસંસ્કારી છે.

જ્યારે તેની ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે મહિલાએ રાહતનો શ્વાસ લીધો. 
તેણીએ પોતાનો સામાન એકઠો કર્યો, તે માણસ તરફ જોયું પણ નહિ અને ફ્લાઈટ તરફ આગળ વધી ગઈ.
ફ્લાઈટ માં પોતાની સીટ પર બેસી તેણે પોતાની હેન્ડબેગમાં પુસ્તક શોધવા જોયું તો તેના આશ્ચર્ય વચ્ચે કૂકીઝ નું પેક દેખાયું ! 
ત્યારે છેક તેને ખ્યાલ આવ્યો કે તે જે પેકમાં થી કૂકીઝ ખાઈ રહી હતી તે તો પેલા માણસનું હતું. 
ખરેખર તો તેણે પોતે જ અસભ્ય વર્તન કર્યું હતું. પેલા માણસે તો તેની સાથે બહુ  શાલીનતાથી વર્તન કર્યું હતું અને તેને કૂકીઝ ઓફર કરી હતી.!

તે માણસ વિશે ખોટી માન્યતા ધરાવવા બદલ તેને પોતાની જાત પર ખૂબજ શરમ આવી અને ક્ષોભ થયો. પણ તેની માફી માંગવા માટે તો ઘણું મોડું થઈ ગયું હતું.
__

'ધ કૂકીઝ થીફ' એક પ્રેરણાદાયક વાર્તા છે.  જીવનનો એક મૂલ્યવાન પાઠ છે . આપણે ઉતાવળે કોઈ ધારણાઓ ન બાંધવી જોઈએ. બધું જ આપણા પ્રક્ષેપણ પર આધારિત છે. 
જ્યારે આપણે વસ્તુસ્થિતિને જોવાની રીત બદલીએ છીએ ત્યારે તે કંઈક જુદું જ ભાસે છે.  તેથી, ખુલ્લા મનના બનવાનું શીખવું , આપણા કઠોર નિર્ણાયક સ્વભાવને ત્યજી દેવો. તે  આપણને આપણા જીવનમાં પરિવર્તન લાવવામાં અને અન્ય લોકો સાથે વધુ સારી રીતે જોડાવામાં મદદ કરશે.

(વેલેરી કોક્ષની અંગ્રેજી વાર્તારુપી કવિતા 'ધ  કૂકીઝ થીફ' નો ભાવાનુવાદ.)

Friday, February 23, 2024

પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી

પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી

મુકેશ સોજીત્રા

૧૯૯૦ના દાયકાની એક વાત છે.

શેતલના કાંઠે આવેલું એક ગામ. ગામ નાનું એવું જ. એકથી પાંચ ધોરણની શાળા. ત્રણ શિક્ષકોનુ સેટ અપ. બે શિક્ષકો કામ કરે અને એક જગ્યા  લગભગ ખાલી જ રહેતી કાયમી. કોઈ નવો શિક્ષક આવે કે તરત જ સીનીયર શિક્ષક બદલી કરાવી નાંખે! એટલે વધે બે ના બે! સુરતમાં આવેલ અશ્વિનીકુમારના ત્રણ પાનના  વડલાની જેમ જ! એ વડલાને વરસોથી ત્રણ પાન જ છે. નવું પાન ફૂટે કે એક પાન ખરી જાય!

આવી આ શાળામાં તપાસ કરવા   માટે તાલુકામાંથી મોટા સાહેબ અને કલાર્ક રાજદૂત લઈને નીકળ્યા. આ જ તે શાળામાં વરસ દિવસ પહેલા હાજર થયેલા  અને ગામમાં તેમજ આજુબાજુની શાળામાં પોતાની વાયડાઈ તરીકે પ્રખ્યાત થઇ ગયેલા શિક્ષક્ને આજ બતાવી જ દેવાનું છે એવો દૃઢ લઈને બને સાહેબો નીકળ્યા હતા!

શિક્ષક્નુ નામ પરેશભાઈ.  તેના સાથી શિક્ષક તરીકે હરેશભાઈ હતા. આ બને શિક્ષકો ગામમાં નોકરી કરે.

જે શિક્ષક્ની વાયડા તરીકેની છાપ હતી એનું નામ પરેશભાઈ અને એ છાપ પણ આજુબાજુના ચાર ગામમાં નોકરી કરતાં શિક્ષકોમા જ હતી. બાકી આ ગામમાં બે વરસમાં પરેશભાઈની છાપ એક નિષ્ઠાવાન અને સજ્જન તરીકેની હતી. ગામલોકો પોતાના ગામમાં જ નહિ આજુબાજુના ગામમાં સગા સંબંધીને ત્યાં જાય ત્યારે પણ ગર્વથી કહેતા કે,

“અમારે હવે સારા માસ્તર આવ્યા છે! મારી સાંભરણમાં આવો માસ્તર હજુ અમારા ગામમાં નથી આવ્યો. જે છોકરાને નિશાળે લઇ જવા માટે બે બે જણા ઢસડીને લઇ જાય અને ત્યારે એ માંડ માંડ નિશાળના દરવાજે પહોંચે એવી અમારા ગામની વનાની વેજા હવે નવ વાગ્યામાં નિશાળમાં પોગી જાય છે અને સાંજે છ સાડા છ વાગ્યે ઘરે આવે છે”

“હોય નહિ અમારે તો સાડા અગિયારે નિશાળ ખુલે અને પાંચમાં પાંચ હોય ત્યાં જ છોકરા છૂટે અને માસ્તરો વછૂટે, અમુક  સાહેબો તો છોકરાની પહેલા જ ઘરે પુગી જાય. આ અમારી પડખે જ એક સાબ ભાડે રહે છે. એ કાયમ પોણા પાંચ થાય એટલે ઘરે આવી જાય. ઈ ઘરે આવે એટલે અમને ખબર પડી જાય કે હવે દસ પંદર મિનીટ પછી અમારા છોકરા નિશાળેથી ઘરે આવી જાય! બોલો આવું છે” સગા સબંધી એના ગામની પરિસ્થિતિ રજુ કરે!

એટલે થોડા સમયમાં પરેશભાઈ આજુબાજુની ગામની શાળામાં એટલા અળખામણા થઇ ગયેલા કે શિક્ષકોએ એને વાયડાનું બિરુદ આપી દીધું. અને આ બિરુદ આખા તાલુકામાં ફેરવાઈ જાય એ માટે બધાએ તનતોડ પ્રયત્નો પણ શરુ કરી દીધેલા!

ગામલોકોના દિલમાં આદરનું સ્થાન મેળવનાર પરેશભાઈએ બીજું તો કશું નહોતું કર્યું પણ વરસોથી ચાલી આવતી કેટલી પરંપરાઓ ધરમૂળથી ફેરવી નાંખી. પહેલા ધોરણમાં બાળકને દાખલ થવું હોય તો એના પાંચ વરસ પુરા થઇ ગયા હોય એવો તલાટીનો દાખલો જોઈએ. હવે એ ગામમાં આવા દાખલા વગરના લગભગ આઠ વરસના, સાત વરસના, પાંત્રીસ જેટલા બાળકોના નામ વાલીફોર્મમાં વાલી ની સહી લઈને વાલી કહે એ જન્મતારીખ લખીને ચડાવી દીધા. બીજું કામ એ કર્યું કે પોતાને સવારમાં કોઈ કામ નહોતું એટલે નવ વાગ્યે શાળા ખોલી નાંખે અને બાળકો પાસે સફાઈ કરાવે પછી બાળકોને રમવાની છૂટ... છેક સાડા દસ સુધી.. પછી પાંચ વાગ્યા પછી શાળાના બાળકો સાથે પાદરમાં દોઢ કલાક સુધી પોતે ક્રિકેટ રમે! છોકરાઓ ઓટોમેટીક આવવા લાગ્યા.!

અમુક છોકરાઓને ઘરના કે વાડીના કામ હોય એને કહી દીધું કે તમારે જયારે આવવું હોય ત્યારે આવવું.. કલાક બે કલાક આવો તો પણ ચાલશે.. નિશાળે આવો પછી એમ થાય કે વાડીયે જાવું છે તો જતું રહેવાનું! આની પાછળનું એનો તર્ક એવો હતો કે છોકરું સાવ ના આવે એના કરતા કલાક કે બે કલાક ભલે ને આવે...! થોડું ઘણું શીખશે ને! અમુક વાલીઓ પણ રાજી થયા! આ એને બહુ જ ગમ્યું! પણ છોકરો નિશાળે આવે ને પછી એને જવાનું મન જ ન થાય એવી પ્રવૃતિઓ શરુ કરી દીધી! સાથી શિક્ષક્નો પણ એને સારો સહકાર મળ્યો!

એ વખતે શિક્ષકોની મીટીંગો બહુ ઓછી થતી. વરસમાં એક કે બે વાર જૂથ મીટીંગ થાય. ત્યારે નજીક નજીક ની શાળાના શિક્ષકો મળે! પછી તાલુકાના રમતોત્સવ માં મળે અને વિજ્ઞાનમેળા મળે. બસ આ સિવાય શિક્ષકોની કોઈ મીટીંગ થતી જ નહિ.

આવી જ એક જૂથ મીટીંગ એક મોટી શાળામાં થયેલી અને એ શાળાના એક એવોર્ડ વિજેતા શિક્ષકે પરેશભાઈને રીતસરનો ઘઘલાવી નાંખેલો.

“યુવાન લોહી છે અને ખાદીવાળી સંસ્થામાં ભણ્યા છો એટલે લોહી બહુ ચટકા મારે છે નહિ? તમે જે રીતે બધી બાબતમાં ગામને નિશાળમાં ઇન્વોલ્વ કરો છો એ સારું નથી. કોઈ પણ કાર્યક્રમ ગોઠવો છો તો તમારી નિશાળમાં ગામ આખું આવે છે..એક વાત યાદ રાખી લે કે તને કોઈ ટોકરો નહિ બંધાવી દે” પરેશભાઈ તો આ સાંભળીને ચમકી જ ગયો. એ માની જ નહોતો શકતો કે આ ગુરુજીને હજુ ગયા વર્ષે શ્રેષ્ઠ શિક્ષક્નુ પારિતોષિક મળ્યું. પરેશભાઈ બોલ્યા.

“સાહેબ એમાં એવું છે ને કે જે મંદિરે વધુ ભક્તો જાય એમ એ મંદિરનો વિકાસ થાય. મંદિર સમૃદ્ધ થાય.. એમ ગામ લોકો શાળામાં આવે છે અને આપીને જાય છે... આજે મારી શાળામાં નવ હજાર જેટલું ભંડોળ એકઠું થઇ ગયું છે...! આ મહીને રમતગમતના ચાર હજારના સાધનો લાવ્યો છું.. એ રકમ બાદ કરતા નવ હજાર બેલેન્સ છે બોલો... ગામ ઇન્વોલ્વ થાય તો આટલો ફરક પડે!”

“તું હજુ નાનો છો... ઉગીને ઉભો થયો છો.. બાકી અમે વીસ વરસથી નિશાળમાં છોલાવીયે છીએ! તું હજુ આજકાલનો છે એટલે આ બધા ગતકડા તને ગમે છે” શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા ગુરુજી હવે છેક અંદરથી બળી ગયા હતા.

“સાહેબ જાત ઘસો તો પરિણામ આવે જ બાકી તમે કહો છો કે તમે વીસ વરસથી છોલાવો છો તો પછી લોહી જ નીકળે.. છોલવામાં સારું પરિણામ ન આવે! જાત ઘસવી અને છોલાવવું એમાં બહુ મોટો ફર્ક છે સાહેબ! બહુ મોટો ફરક!” આંખમાં આંખ નાંખીને પરેશભાઈ બોલ્યા અને પેલા ગુરુજીતો ઠરી ગયા અને મનોમન બોલ્યાં આ તો “વધારે પડતી વાયડી વિકેટ”!
 
અને પછી જૂથમીટીંગમાં પરેશભાઈ સામે બધાએ એક મોરચો જ ખોલ્યો. જૂથ મીટીંગમાં દરેક શાળા પોતાની કરેલી પ્રવૃતિઓ ઉભા થઈને કહેતા હતા. વારફરતી દરેક શાળા બે બે મિનીટ બોલીને બંધ થઇ જાય! નવું કર્યું હોય તો બોલેને? પણ પરેશભાઈ એ એક કલાક કાઢ્યો. એમણે છ મહિનામાં જ આઠ પર્યટન કર્યા હતા. આજુબાજુના જોવાલાયક મંદિર, પોસ્ટ ઓફીસ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ની મુલાકાત લઇ આવ્યા હતા. આ વાત કરી ત્યાં અમુક શિક્ષકો બોલ્યા. આ માટે મંજૂરી લીધી હતી? એમાં મંજુરીની કોઈ જરૂર નથી એવું પરેશ બોલ્યો. બહાર મોટા પ્રવાસમાં જવું હોય તો જ મંજૂરી લેવાની. પછી તો ઘણી ઘણી નવી નવી પ્રવૃત્તિ વર્ણવી. એક બાળક એક ઝાડ...! રવિવારે રાત્રી શાળા શરુ! જેમ જેમ એ પોતાનું કામ ગણાવતો ગયો એમ એમ આંખના કણાની જેમ બધાને ખટકતો ગયો.

મોટા સાહેબો પાસે કાન ભંભેરણી શરુ થઇ ગઈ. તમારી મંજૂરી વગેરે એ પર્યટન ગોઠવે છે. શાળાને ધર્મશાળા બનાવી દીધી છે. શાળામાં  કોઈ શિસ્ત જ નથી.. બાળકો મન ફાવે આવે અને મન ફાવે ત્યારે જાય છે.. હવે તો રાતે પણ નિશાળ ખુલે છે છોકરા લેશન કરે છે! કાઈ બની ગયું તો શિક્ષણને કાળી ટીલી લાગશે કાળી ટીલી! આજુબાજુની શાળાના મહાન શિક્ષકો તાલુકામાં જઈ જઈને ફરિયાદો કરી રહ્યા હતા!

એવામાં રમતોત્સવ આવ્યો. અને એક ઘટના બની. પરેશભાઈ પોતાની શાળાના બાળકોને લઇ ને આવ્યા હતા. પોતાની શાળા પાંચ રમતોમાં પહેલો નંબર લાવી હતી. જ્યાં જમણવારની વ્યવસ્થા હતી ત્યાં બધા શિક્ષકો મોટા સાહેબોની રાહ જોઇને ઉભા હતા, જોકે બધા બાળકોએ જમી લીધું હતું. સાહેબો આવે પછી જ શિક્ષકો હાથમાં થાળી પકડે એવો પ્રોટોકોલ વરસોથી ચાલ્યો આવે! લગભગ એક વાગવા આવ્યો.. સાહેબો હજુ રમતના મેદાન પર મીટીંગ કરીને બેઠા હતા. બે ત્રણ વાર કહેવામાં આવ્યું પણ થોડી વાર ખમો એમ કહીને વાતે વળગી રહ્યા હતા. કારણ એક જ હતું સવારમાં ભરપુર નાસ્તો અને પછી રમતોત્સવમાં ઠંડા પીણા ખુબ પીધા એટલે હજુ કલાક પછી જમેં તો ય ચાલે એમ હતું. ભોજન ઠરી રહ્યું હતું. અને પછી પરેશભાઈએ બધા શિક્ષકોએ કહ્યું.

“આપણે ખુબ રાહ જોઈ... આ ભોજન પણ ઠંડુ પડી જશે.. એ લોકો નાસ્તો કરીને બેઠા છે ને આપણે રહ્યા સવારના ભૂખ્યા.. હું તો  જમી લઉં છું..” એમ કહીને એણે ડીશ પકડી કે પાછળ લાઈન થઇ ગઈ. ચાર પાંચ પાકા ચમચા શિક્ષકો સિવાય કોઈ વધ્યું નહિ! બધાએ જમી લીધું અને સાહેબો પધાર્યા. વાત જાણી અને ગુસ્સેથી કોપાયમાન થઇ ગયા!

“અમારી પહેલા એને જમાય જ કેમ? આટલી બધી ભૂખ ભડાકા લઇ ગઈ હતી? કોણે કરી શરૂઆત?  વગેરે પ્રશ્નોનો પ્રશ્નકાળ શરુ થયો.

અને નામ આવ્યું પરેશભાઈનું.. ચાર સિવાય બધા જ શિક્ષકો જમ્યા હતા.. બરાબર ચાવીઓ ટાઈટ કરવામાં આવી.. હવે પરેશભાઈનું આવી બન્યું જ સમજો.. પણ મોટા સાહેબની સાથે એક ક્લાર્ક હતા એણે ગામ ગામના પાણી પીધેલા હતા એણે કહ્યું.

“આજ એને કશું કહેવું નથી... આજ હમણા રમતોનો  સમાપન સમારોહ થાશે.. અને એ પરેશની શાળા પાંચમાં જીતી છે.. આજ એને હવા માં ઉડવા દો.. એના વિસ્તારમાં જઈ એની શાળામાં જઈને જ એને પાડવો છે.. આજ ચુપ થઇ જાવાનું છે.. આજ કશું બોલવાનું નથી.. આજ એની શાળાના બાળકોને બિરદાવવાના છે.. એ આમેય વાયડો અને ફુલણશી તો છે જ... પછી મોકો જોઇને ઊંઘતો ઝડપી લેવાનો છે અને એવો હાંકવાનો છે કે કોઈ દિવસ અધિકારી જમે ઈ પહેલા ક્યારેય ન જમે...! સીધો દોર કરી દેવો છે પણ આજ નહિ પછી ક્યારેક  એટલે તમે આજ ધીરા રહેજો”  

બસ આ જ કારણ સર આજ મોટા સાહેબો પરેશભાઈની શાળામાં રેડ પાડવા નીકળ્યા હતા!

સાડા દસે બને સાહેબો નિશાળમાં પહોંચી ગયા. શાળા આખી ચોખ્ખી ચણાક હતી. બાળકો બધા દડો લઈને રમી રહ્યા હતા. બને શિક્ષકો આવી ગયા હતા.

“કેટલા વાગ્યે શાળા ખુલી જાય છે.” બહાર રમતા બાળકોને મોટા સાહેબે પૂછ્યું.

“જી લગભગ નવ વાગ્યે તો ખુલી જ જાય” બાળકોએ રમતા રમતા જવાબ આપ્યો.

“એમ”? કહીને બને સાહેબો આચાર્ય પાસે ગયા. એ દૂર એક ખૂણામાં પાણી ની પાઈપ પકડીને ફૂલ છોડને પાણી પાતા હતા.

“પધારો પધારો સાહેબ! કહીને આચાર્યે પાણી ની પાઈપ બીજા એક છોકરાને પકડાવી અને વિવેક સાથે સાહેબોનો સત્કાર કર્યો.

“આટલી વહેલી શાળા ખોલી નાંખો છો અને પછી બાળકો આવીને રમે છે શાળામાં ઈ તો બરાબર પણ કાલ કોઈ મેટર બની તો? કોઈ બાળકને કશું થયું કે રમતા રમતા વાગ્યું તો જવાબદારી કોની? સાહેબે પેલો પ્રશ્ન કર્યો.

“અમે બને શિક્ષકો શાળા ખુલે એટલે હાજર જ હોઈ એટલે એવો કોઈ પ્રશ્ન બને જ નહિ. અને કદાચ કોઈને ક્યારેક વાગે તો વાલીઓ એને ગણીને ગાંઠે બાંધે નહિ. વાલીઓ તરફથી સંપૂર્ણ સહકાર છે સાહેબ.. વાલીઓ ઉલટાના રાજી છે કે એના બાળકો નવ વાગ્યાથી સચવાય છે” આચાર્ય બોલ્યા.

“બરાબર છે પણ ક્યારેક કોઈ મુશ્કેલી થશે” કહીને ઓફિસમાં બને સાહેબોએ બેઠક લીધી. હાજરી પત્રક જોયું. ચા આવી નાસ્તો આવ્યો. ચા અને નાસ્તાને ન્યાય આપીને બને સાહેબો પ્રાર્થના સભામાં ગયા. સાડા અગિયાર સુધી પ્રાર્થના કાર્યકર્મ ચાલ્યો. કશી જ ખામી નહોતી. બાળકોને સાહેબનો પરિચય આપવામાં આવ્યો. બાળકોએ તાલીઓના ગડગડાટ સાથે સાહેબોનું અભિવાદન શરુ કર્યું. સહુ બાળકો પોતપોતાના વર્ગમાં ગયા. અને બને સાહેબોએ પરેશભાઈના વર્ગની મુલાકાત લીધી.

પરેશભાઈ ધોરણ ચાર અને પાંચ સાથે લેતા હતા. મહેશભાઈ એક થી ત્રણ ધોરણ લેતા હતા. હાજરી પત્રક, દૈનિક નોંધ પોથી, માસ વાર આયોજન વગેરે ચેક થઈ રહ્યું હતું.

એવામાં નિશાળના દરવાજા પાસેથી ગામના મનુભાઈ નીકળ્યા. દરવાજાની અંદર બાઈક જોઇને એ અંદર આવ્યા. એને ખ્યાલ આવી ગયો કે કોઈ નિશાળમાં આવ્યું છે તાલુકામાંથી નહીતર આ બને શિક્ષકો ગામમાં જ રહેતા અને ચાલીને જ શાળામાં આવતા હતા,કોઈ દિવસ બાઈક લઈને શાળામાં આવતા જ નહિ. એ અંદર આવ્યા ને રૂમની બહાર મોટા સાહેબો કે પરેશભાઈની જાણ વગર ઉભા રહી ગયા અને અંદર શું ચાલે છે એ બહારથી સાંભળવા લાગ્યા.

મનુભાઈની છાપ ગામમાં થોડી માથાભારેની ખરી. વળી તાલુકાના પ્રમુખ સાથે એમને ઘર જેવડો સંબંધ હતો. વળી તે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય પણ ખરા. પરેશભાઈને મનુભાઈ સાથે બહુ ઓછા સંબંધો. શાળાના કામમાં જ આચાર્ય એટલા ઓતપ્રોત કે એને રાજકીય માણસો સાથે સંબંધ બનાવવાનો ખુબ જ ઓછો અવકાશ મળતો.

ચાલીશના વર્ગમાં લગભગ સાતેક જણાને વાંચતા લખતા કે ગણતા ઓછું આવડતું હતું. મોટા સાહેબે એ બધા બાળકોને ઉભા કરીને કહ્યું.

“કેમ આટલા નબળા રહી ગયા છે? શું કરો છો તમે આખો દિવસ?  વર્ગમાં ખાલી બેઠા જ રહો છો કે પછી શિક્ષણનું કાર્ય પણ કરો છો” બાળકોની હાજરીમાં જ મોટા સાહેબે ઊંચા અને કડક અવાજે કહ્યું.

“એ નબળા છે એ સ્વીકારું છું. એના માટે સક્રિય પણ છું. પણ સાહેબ એમાં એવું છે કે એક તો મારે આચાર્યનો ચાર્જ છે. વળી બે ધોરણ છે. અને હું તો હજુ અઢી વરસથી આવ્યો છું. આ બધા પહેલા અનિયમિત હતા. આપ ચાહો તો બે વરસ પહેલાના હાજરી પત્રક ચેક કરી શકો છો. આ બધા બાળકો હવે સમયસર આવે છે એટલે આપની ભવિષ્યની મુલાકાત વખતે આ બધા વાંચતા લખતા થઇ જશે એની ખાતરી આપું છું. મૂળ તો એ એનું પેહેલું અને બીજું ધોરણ જ કાચું રહી ગયું છે. એટલે એ નબળા છે” પરેશભાઈ પૂરી વિનમ્રતાથી પોતાની હકીકત જણાવી રહ્યા હતા અને એમાં ભારોભાર સત્યતા હતી.

પણ મોટા સાહેબ તાડૂકી ઉઠ્યા.. ગુસ્સાથી ધમધમી ઉઠ્યા! રીતસરના બરાડ્યા!

“આ બધા વરસોથી ચાલ્યા આવતા રાષ્ટ્રીય બહાના છે! નબળા બાળકોની જવાબદારી અગાઉના શિક્ષકો પર ઢોળી દેવાની એમ? આ દેશમાં આવું જ ચાલે છે! કોલેજવાળા માધ્યમિક વાળાનો વાંક કાઢે. માધ્યમિક વાળા પ્રાથમિક વાળાનો વાંક કાઢે.. અને પ્રાથમિક વાળા બાળમંદિર વાળાનો અને બાળ મંદિરવાળા બાળકોના વાલીઓ વાંક કાઢે અને વાલીઓ ભગવાનનો વાંક કાઢે છે. બાળકો જ આવા અવતરે છે! બધાજ સાલાઓ એક બીજાને ખો આપે છે. કોઈ નબળા બાળકોની જવાબદારી લેતું નથી. આ બાબત ખુબજ ગંભીર છે! આ સાત બાળકો જે નબળા છે એની તમને નોટીસ પણ મળશે અને વિઝીટ બુકમાં પણ નોંધ થશે! આ બેદરકારી છે. ઘોર બેદરકારી છે! તમે તમારી ફરજ ચુક્યા છો! તમે વહેલા નિશાળ ખોલો છો.. સાંજે પણ સાડા છ વાગ્યા સુધી  બાળકો સાથે રમો છો એનો મતલબ એવો નથી કે તમે તમારી જવાબદારીમાંથી છટકી જાવ! ઉપરવાળો બધું જ જુએ છે! અહીના અહી જ ભોગવવા પડશે એ યાદ રાખો. મફતનો પગાર ખાવ છો શરમ આવવી જોઈએ તમને! આટલું ખરાબ શિક્ષણ! ચાળીશમાંથી સાત બાળકો બરાબર વાંચી નથી શકતા અને તમે તમારી જાતને હીરો સમજો છો. જૂથ મીટીંગમાં તો તમે આ કર્યું તે કર્યું એવા મોટા મોટા બણગાં ફૂંકતા હતા! તો મને જવાબ આપો કે અત્યારે ક્યાં ગઈ તમારી એ બધી વાયડાઈ અને હોંશીયારી””! મોટા સાહેબે પરેશભાઈને બરાબરના સાપટમાં લીધા હતા. બાળકો પણ સાંભળી રહ્યા હતા.  બાળકો ઉમરમાં નાના હતા પણ તોય એટલું સમજતા હતા કે પોતાના સાહેબને તાલુકાવાળા  મોટા સાહેબ વગર વાંકે વધારે પડતા ઘચકાવી રહ્યા હતા.

અને કોઈ પણ શિક્ષક્ને એની પાસે ભણતા બાળકોની હાજરીમાં તતડાવો કે ઉતારી પાડો ત્યારે એ શિક્ષકનું અંતર ચોધાર આંસુડે રડતું હોય છે એ વાત નક્કી!

બહાર ઉભેલા મનુભાઈથી પણ ના રહેવાયું. એ અચાનક જ અંદર ગયા. અને બોલ્યા.

“હું વાડીએ જતો હતો પણ નિશાળમાં રાજદૂત જોયું. અજાણ્યું રાજદૂત હતું. ગામના બધા જ રાજદૂતને હું ઓળખું છું પણ આ અજાણ્યું લાગ્યું એટલે થયું કે કોઈ તાલુકાવાળા હોવા જોઈએ. એટલે  નિશાળની માલીપા આવ્યો અને બહાર ક્યારનોય બધું સાંભળું છું. પણ એક વાત સમજી લ્યો સાહેબો. આ ઉભા કરેલાને કદાચ વાંચતા નહિ પણ આવડતું હોય. પણ આ જે બેઠેલા છે એને તો આવડે છે ને! પરેશભાઈ સાથે મારે કોઈ અંગત સંબંધ નથી પણ તોય એટલું કહી શકું કે એ આવ્યા પછી શાળાનું વાતાવરણ સુધર્યું છે. બાકી આની પહેલા જે સાહેબો હતા એ બધાયને હું નખશિખ ઓળખું છું. એનામાં ને પરેશભાઈ માં ઘી અને ઘાસલેટ જેટલો ફરક છે. અત્યારે જે તમે આ સાહેબને કહો છો એ શબ્દો આજથી ત્રણ વરસ પહેલાના સાહેબોને કીધા હોત તો આ જે ઉભા છે બાળકો એ આજે જે ઉભા છે એ બાળકો પણ બરાબર વાંચતા, લખતા હોત અને કદાચ આજે આ ક્લાસમાં ઉભા  ન હોત!”

સોપો પડી ગયો વર્ગખંડમાં. મોટા સાહેબ અને તેની સાથે આવેલ ક્લાર્ક થીજી જ ગયા. કારણ કે મનુભાઈ ને ઓળખતા હતા. અને મનુભાઇ એટલે તાલુકા પ્રમુખના ખાસ માણસ! અને તાલુકા પ્રમુખ એટલે તાલુકામાં ભલભલાને ઉભા ઉભા રોવરાવે એવો કડપ રાખતા હતા. તાલુકા પ્રમુખનો એ વખતે ભારે દબદબો.. કોઈને પણ ના ગાંઠે અને કોઈ અધિકારીને પ્રમુખ ચેમ્બરમાં બોલાવે એટલે શરૂઆત જ ગાળોથી થાય! વાતાવરણમાં અચાનક જ પલટો આવી જશે એવી તો કોઈને કલ્પના પણ ક્યાંથી હોય. પરેશભાઈ અદબ વાળીને ઉભા હતા અને એની  આંખના ખૂણા ભીંજાવાની તૈયારીમાં જ હતા.

“મનુભાઈ અમે અમારી ફરજ બજાવીએ છીએ. આટલું તો કહેવું જોઈએ અને થોડી કડકાઈ પણ રાખવી જોઈએ. આખા તાલુકાના શિક્ષણની જવાબદારી અમારા માથે હોય છે. કાલ્ય સવારે કોઈ જીલ્લા વાળા આવી ગયા ને આવી સ્થિતિ નીકળે તો અમારી તો એ ધૂળ જ કાઢી નાંખે ને બાકી પરેશભાઈ કે કોઈ શિક્ષક સાથે અમારે વ્યકતિગત કોઈ દુશ્મની છે જ નહિ, અને તમે તો આપણા પ્રમુખ સાહેબને ક્યાં નથી ઓળખતા” મોટા સાહેબ હવે જેટલું રીકવર થાય એટલું રીકવર કરવાના મુડમાં હતા. મનુભાઈ બોલ્યા.

“પણ એ બધું કહેવાની એક રીત હોય છે... બાકી તમે જે રીતે પરેશભાઈને કહેતા હતા એ તમને બરાબર લાગે છે?  ખાસ કરીને જે શિક્ષક નિશાળ માટે પોતાની જાત ઘસતા હોય એને માટે બાળકોની હાજરીમાં આવું બધું કહેવાનું? એય રામલા તારી ગુજરાતી ની ચોપડી લાવ્ય તો.” કહીને મનુભાઈ આગળ આવ્યા ને નથુ કાનજીના રામલા પાસેથી ગુજરાતીની ચોપડી લઈને એણે પહેલું પાનું ખોલ્યું અને બોલ્યા.

“તમે તો મોટા સાહેબો છો તમને તો ખબર જ છે કે દરેક ચોપડીમાં પહેલા પાને એક “પ્રતિજ્ઞા પત્ર” હોય છે...!  શું તમે આ પ્રતિજ્ઞા પત્ર ફક્ત શાળાના બાળકો માટે જ હોય છે એમ માનો છો?” હકીકતમાં આ પ્રતિજ્ઞાપત્ર બધા જ માટે છે. ભારતના તમામ નાગરીકો માટે આ પ્રતિજ્ઞા પત્ર છે!એ પ્રતિજ્ઞા પત્રની પાંચમી લીટી તમે ક્યારેય વાંચી છે? એ લીટી આ પ્રમાણે છે!

“હું મારા માતા-પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ”!

માતા પિતા અને શિક્ષકો અને વડીલોને શું આપણે આ રીતે આદર આપીએ છીએ? શું તમારું હમણાં જે વર્તન હતું એ શિક્ષક સાથે સભ્યતાવાળું વર્તન હતું? આપણે એમ સમજીએ છીએ કે આ  બધું બાળકોએ કરવાનું પણ હકીકતમાં આ પ્રતિજ્ઞાપત્ર એ દરેક માટે છે.! બધા જ આ પ્રતિજ્ઞા પત્ર સમજી લે ને તો આ દેશનો બેડો પાર થઇ જાય! ના માતા પિતા હેરાન થાય કે ના વડીલો અને શિક્ષકો! હું લગભગ નિશાળે નથી આવતો પણ એક વાત તમને જણાવી દઉં કે અત્યારના આ બે શિક્ષકો ખંતથી કામ કરે છે એમાં કોઈ બે મત  નથી. ચાલો ઓફિસમાં બેસીએ” કહીને મનુભાઈ એ ગુજરાતી રામલાને આપી અને બહાર નીકળી ગયા અને તેની પાછળ બને સાહેબો પણ!

ઓફિસમાં પછી ઘણી વાતો થઇ! વિઝીટ બુક લખાણી. એકંદરે ખુબજ સંતોષકારક શિક્ષકોનો ઉત્સાહ સારો. કામગીરી ગમી એવા શેરા પણ વિઝીટબુકમાં નોંધાયા. પરેશભાઈએ મનોમન ભગવાનનો અને મનુભાઈનો આભાર માન્યો. એને દિલમાં સંતોષ હતો કે કરેલું કામ જોવાવાળું તો કોઈ છે જ! સાહેબોએ વિદાય લીધી.

પાંચેક દિવસ પછી તાલુકા પંચાયત ખાતે પ્રમુખશ્રીની ચેમ્બરમાં પ્રમુખે બને સાહેબોને બોલાવ્યા અને કહ્યું.

“મારે ને મનુભાઈ સાથે બાળપણથી સંબંધ છે. એણે એની નિશાળના કોઈ દિવસ વખાણ નથી કર્યા. પણ છેલ્લા બે વરસથી એ મને અહી તાલુકામાં મળે ત્યારે એ નવા આવેલા માસ્તરોના વખાણ અને ખાસ કરીને આચાર્યના વખાણ   કરતો હોય છે. અમે રહ્યા રાજકારણી એટલે અમને બોલતા બરાબર ના આવડે પણ મનુભાઈ  મને કહેતો હતો કે તમે ગયા અઠવાડિયે એ નિશાળમાં ગયા હતા અને આચાર્યને ખખડાવતા હતા...! તમને એટલી બધી ખંજવાળ શું ઉપડી કે તમને એ જ નિશાળ દેખાણી?  કોઈની ઘાણી કર્યા વગર નથી રહેવાતું? એટલે હવે પછી મને પૂછ્યા વગર એ બાજુ ક્યાય ભાળ્યું ડોકાયા છો? ઘણી બધી નિશાળો છે...! ત્યાં ઘણું બધું કહેવાનું છે! ત્યાં તો કોઈ દિવસ ના ગયા! અને જે સારું કામ કરે છે ત્યાંજ ઘોંચ પરોણો કરવાનો? હવે પછી જો કોઈ ફરિયાદ આવી છે તો પછી તમને ખબર જ છે કે આ પ્રમુખ શું કરશે! હાલો હવે પોચા પગે નીકળો” અને બને સાહેબો બહાર નીકળી ગયા! અને પરેશભાઈને કાયમનું સુખ થઇ ગયું.

પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી બધાએ યાદ રાખવી જોઈએ.

“હું મારા માતા-પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ”!

અને એક વાત વળી યાદ રહે કે આ તો ઓગણીસો નેવુંના દાયકાની વાત છે!

Saturday, February 17, 2024

બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે

બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે

            જો બેટા આ નખી તળાવઆકાશે પોતાના દીકરા આયુષને કહ્યું. આયુષ પોતાની મમ્મી અવની નો હાથ પકડીને ચાલતો હતો. ચારે બાજુ જોઈ રહ્યો હતો. ઊંચા ઊંચા પહાડ, હરિયાળી, વાતાવરણમાં એકદમ ઠંડક એને નવાઈ લાગતી હતી. એકદમ એસી જેવું વાતાવરણ હતું.

            મોમ અહિયાં કેવી ઠંડી છે,અને આપણે ત્યાં તો કેટલી ગરમી પડે નહિ પપ્પા?” આયુષ અચરજ પૂર્વક બોલ્યો.

            હા બેટા એટલે જ તો તને અહી ભણવા મુકવાનો છે,તને અહી ખુબ મજા પડશે, એયને કેવું મસ્ત વાતાવરણ છે અહિયાં બેટા? ” આકાશે પોતાના દીકરાની આંગળી પકડીને કહ્યું. નાનો આયુષ મમ્મી અને પાપાની આંગળી પકડીને બેયની વચ્ચે હરખભેર ચાલતો હતો.

            બેટા ચાલ આપણે બોટમાં બેસીએ , તને મજા પડશે ને પછી તો તને અહી રોજ બોટિંગ કરવા મળશે…!! મારો ડાયો દીકો કેટલો ભાગ્યશાળી છેઆકાશે આટલું બોલીને આયુષને ઊંચકી લીધો. નખી લેક પર તેઓ બોટમાં ગોઠવાયા. ધીમે ધીમે બોટ ચાલવા લાગી. આયુષને આકાશ બધું બતાવતો હતો.

            જો બેટા આ બાજુ ભારતમાતાનું મંદિર છે, ત્યાં ઉંચે જે દેખાયને ત્યાં ગુરુશિખર છે. ત્યાં સૈનિકો રહે છે. આ બાજુ જો પેલો રોક છેને ઉંચો ઉંચો એનું નામ છે ટેડ રોક.  આપણે ત્યાં જઈશું અને પેલી સામેની ટેકરી દેખાય છેને ત્યાં છે સનસેટ પોઈન્ટ અને તેની નીચે બરાબર આવે હનીમુન પોઈન્ટ હું અને તારી મમ્મા લગ્ન કરીને અહી આવેલા અને હનીમુન પોઈન્ટ પર ફોટા પાડેલા, પૂછ તારી મમ્માને!!  અવનીનું મોઢું શરમથી લાલછોળ થઇ ગયું. એની આંખો જાણે કે આકાશને કહેતી હોય કે શુંય તમે બાળક આગળ આવી વાત કરવાની?. અવનીની આંખોમાં એક મીઠો ઠપકો હતો.

            મમ્મા પપ્પા સાચું કહે છે?” આયુષે અવનીની આંખોમાં જોઇને કહ્યું. જવાબમાં અવની હસી. એને એ સમય યાદ આવી ગયો જયારે આજથી દસ વરસ પહેલા માઉન્ટ આબુ આવી હતી આકાશ સાથે!!! ઉનાળામાં એમનાં બેયના લગ્ન થયાં હતાં. અને લગ્ન પછી બને આવ્યા હતાં. અહી અને એ પણ પુરા સાત દિવસ!!!! એ અચલ ગઢ , એ સનસેટ પોઈન્ટ , એ દેલવાડાનું કોતરકામ ઘણું બધું જોયું હતું આકાશના સથવારે !!!!!

            આકાશ અને અવની બને અમદાવાદની કોર્પોરેશનની શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતાં . શરૂઆતમાં બને વિદ્યાસહાયક તરીકે લાગ્યા હતાં, પણ ફૂલ પગારમાં આવ્યા પછી એમની જિંદગી ફૂલ સ્પીડમાં ચાલવા લાગી!!! આમતો તેઓ જ્યારથી પીટીસી કરતાં હતાં ત્યારથીજ સંબંધ નક્કી થઇ ગયો હતો .પણ જેવી નોકરી મળીકે  તરતજ એમનાં લગ્ન કરી નાંખવામાં આવ્યાં. બનેનું મેરીટ ખુબ જ સારું એટલે કોર્પોરેશનમાં નોકરી મળી ગઈ અને એ પણ એક જ શાળામાં અને વર્ગખંડ પણ બાજુ બાજુમાં.. ખરેખર તેઓ ભાગ્યશાળી હતાં!! લગ્નના પાંચ વરસ બાદ આ એક માત્ર સંતાન આયુષ નો જન્મ થયો. બંને ખુશ!!! ખુબ જ ખુશ !!! એવું કહેવાય છે કે જયારે તમારે ત્યાં પ્રથમ સંતાન જન્મે ને પછી પતિ અને પત્ની વચ્ચે  એક પ્લેટોનિક લવ નો જન્મ થાય છે, એક દિવ્ય પ્રેમની અનુભૂતિ!!! અને આ બાબત આકાશ  અને અવનીના કિસ્સામાં એકદમ  સાચી પડી હતી. બનેનું એકમાત્ર લક્ષ્ય હવે પોતાના બાળકનો કેમ શ્રેષ્ઠ ઉછેર થાય એ બાબત તરફ જ હતું . અને આમેય શિક્ષકો પોતાના સંતાનોના ઉછેર અને શિક્ષણ માટે બીજા કર્મચારીઓ કરતાં વધારે ચિંતાતુર હોય છે!!. જ્યારે તેઓ હનીમુન માટે માઉન્ટ આબુ આવ્યા ત્યારે નખી લેક પાછે કતારબંધ બાળકો નીકળ્યા આકાશે જોયું અને અવનીને  કહ્યું કે આ બાળકો અહીની કોઈ ઇન્ટરનેશનલ શાળાનાં જ હશે. અહીં ઘણી બધી શાળાઓ આવેલી છે. અને પછી તપાસ કરી ને  તેઓ એ શાળા પણ જોઈ આવ્યા અને આકાશ અને અવનીએ નક્કી પણ કરી નાંખ્યું હતું કે બસ જે બાળક આવશે એ આ શાળામાં  જ ભણશે!! શાળા વિશેની તમામ માહિતી તેઓ હનીમુનના સમયગાળા દરમ્યાન જ લઇ લીધી. જે બાળક પાંચ વરસ પછી પૃથ્વી પર અવતરવાનું હતું તેની માટે અત્યારથી જ શાળા નક્કી થઇ ચુકી હતી!!! આવું ખરેખર ભારતમાં જ શક્ય બને !!! અને આજે તેઓ આયુષને લઈને ફાઈનલ કરવા આવ્યા હતાં. હજુ તેઓએ આયુષને શાળા બતાવી નહોતી કે તારે અહીં ભણવાનું છે.  હજુ તો એ આબુના વાતાવરણ થી એને પ્રભાવિત કરી રહ્યા હતાં.. પછી એને શાળા બતાવવાની હતી.. એનાં ફાયદા અનેઆમેય તેઓ અત્યારે પોતાના બાળક પાસે એકમ કઢાવી રહ્યા હતાં, વિષયનિરૂપણ હવે પછી કરવાનું હતું. આયુષને લઈને તેઓ હવે શાળામાં જઈ રહ્યા હતાં. શાળામાં આયુષનો ઈન્ટરવ્યું લેવાનો હતો. એ માટે છેલ્લાં બે માસથી પુર ઝડપે તૈયારીઓ ચાલતી હતી. નાના આયુષને  રોજ પ્રશ્નો પૂછીને એનાં જવાબો ચેક કરવામાં આવતા હતાં. એની કચાશ તરફ ધ્યાન દોરીને સતત સુધારો થાય એવા પ્રયત્નો થઇ રહ્યા હતાં.આમ તો આયુષને તેઓએ અમદાવાદની સારામાં સારી નર્સરીમાં પણ મૂકી જોયેલો. પણ મન ના માન્યું. ઘરે પણ તેઓ સતત  આયુષને  ભણાવ્યા જ કરતા. કોર્પોરેશનની શાળામાં તો આયુષને મુકવાનો ખ્યાલ તો એણે કદી  સપનામાં પણ નહોતો કર્યો. જોકે ક્યારેક અવની જોડે આયુષ આવતો શાળામાં તો પણ સતત એનું ધ્યાન રાખવામાં આવતું. આકાશ અને અવની સારી પેઠે સમજતા કે કોર્પોરેશનની શાળાઓ નોકરી કરવા માટે અને પગાર માટે શ્રેષ્ઠ બાકી પોતાના સંતાનો ભણાવવા માટે તો કોઈ હિલ સ્ટેશન પર આવેલી ભપકાદાર શાળા જ સારી. આવી કોર્પોરેશન ની શાળામાં તો બધીજ જ્ઞાતિના બાળકો સાથે આપણુ બાળક ના શોભે એવી એક પ્રકારની ગ્રંથી પણ મનમાં ખરી. અને સહુથી મોટી પેલી ખતરનાક ગ્રંથી કે આપણા છોકરા આપણી પાસે થોડા શીખે…!!!

            એક ભવ્ય કેમ્પસમાં તેઓ દાખલ થયાં. આયષ તો માનવા તૈયાર જ નહોતો કે આવડી મોટી શાળા હોય!!! એને તો મજા પડી ગઈ. શાળામાં બીજી બધી વસ્તુ ઓ જોઈ , સહ અભ્યાસિક પ્રવૃતિઓ, રમતનું મેદાન , હોસ્ટેલ વિવિધ પ્રકારના બગીચા.. ટૂંક માં શાળા એક મહેલ સમાન હતી. પણ આચાર્યશ્રી આજે બહાર ગયાં હોવાથી કાલે એડમીશનનું ફાઈનલ થશે એમ જાણવા મળ્યું. કાઈ વાંધો નહિ કાલે તો કાલે એડમીશન તો મળશે જ ને !!! પોતાનું એક સપનું સાકાર થશે એ જાણીને આકાશ અને અવની ખુશ હતાં!!!

            શાળાની બહાર એક મોટું ચર્ચ હતું અને બાજુમાંજ કબરો આવેલી હતી ત્યાં  ઘણાં વ્રુક્ષો હતાં. ત્યાં એક બાંકડા પર તેઓ બેઠા સામે એક કબર આવેલી હતી તેના પર લખેલું હતું. મીસીસ મેરી ડી કોસ્ટા ૧૯૪૦ -૨૦૦૦અચાનક ત્યાં એક ૩૦  વરસનો યુવાન આવ્યો હાથમાં થોડા ફૂલો હતાં કબરની સામે ફૂલ મુક્યા આંખો મીંચીને પ્રાર્થના કરી. યુવાનનો ચહેરા પર થોડી ગમગીની હતી. આંખો ભીની થઇ રહી હતી. દસેક મિનીટ બાદ તે યુવાન આવીને સામેના બાંકડા પર બેઠો. આકાશ અને અવની આ યુવાનને જોઈ રહ્યા. આયુષ સામે જોઇને પેલો યુવાન બોલ્યો.

            શું નામ છે તારું બેટા??”

            આયુષ આકાશકુમાર પટેલઆયુષે  જવાબ આપ્યો. આમેય ઘણાં દિવસથી ઈન્ટરવ્યુંની પ્રેકટીશ તો ચાલતી હતીને એટલે ફટાફટ જવાબ આપ્યો.

            શું આ કબર તમારી માતાની છે??”  આકાશે કહ્યું.

            ના હું જયારે આ શાળામાં ભણવા બેઠોને ત્યારથી મને સાચવતા એ બેનની  છે, હું આ બાજુની શાળામાં જ ભણેલો છું. બાય ધ વે મારું નામ વિકાસ પટેલ. યુવાને નામ આપ્યુ.

            સરસ!! કેવી છે આ શાળા હું મારાં બાળકનું એડમીશન લેવા આવ્યો છું, પણ કાલે એડમીશન મળશે, આમ તો અગાઉ  મારે ફોન પર વાત થઇ જ ગઈ છે ફક્ત ફોર્માલીટીઝ બાકી છે. આકાશે પૂછ્યું

            ખુબ જ સરસ છે હું ધોરણ ૧ થી ૧૨ સુધી અહીંજ ભણ્યો અને હાલ અમદાવાદમાં એક કંપનીનો મેનેજર છું. તમે બને શું કરો છો.?

            અમે બંને શિક્ષકો છીએઅવનીએ જવાબ આપ્યો આયુષ તો ભોળપણથી આ વાતો સાંભળી રહ્યો હતો.

            શું” ? તમે બને સાથે રહો છો ? કે પછી અલગ અલગ?? ” વિકાસના આ પ્રશ્ન આકાશ ચોંકી ઉઠ્યો.

            મિસ્ટર તમે કેવી વાત કરો છો, અમે એક બીજાને પુરતો પ્રેમ કરીએ છીએ , અને અમે સપનામાં પણ જુદા પડવાનું વિચાર્યું નથી અને તમે અમારા વિષે આમ ધરી જ કેમ શકો? આકાશનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠયો

            સોરી મિસ્ટર આકાશ પટેલ મારો એવો કોઈ જ ઈરાદો નહોતો. તમારી લાગણી દુભવવાનો પણ કોઈ જ ઈરાદો નહોતો !! પણ  મને નવાઈ લાગી કે તમે બંને ગુરુજનો પોતાના પાંચ વરસના એક કુમળા ફૂલને અહી હોસ્ટેલમાં ભણવા મુકો છો.. તમે કહો છો તેમ તમે એક બીજાને ખુબ જ પ્રેમ કરો છો તો એ પ્રેમની વચ્ચે આ બાળકનો સમાવેશ થઇ શકે એટલી જગ્યા છે કે નહિ?? ” વિકાસે પોતાની વાત અટકાવી. ગળું સાફ કર્યું અને પછી ફરીથી બોલ્યો.

            માફ કરજો ગુરુજનો , મને  શિક્ષણમાં બહુ લાંબી  ખબર ના  પડે, મારો એ વિષય પણ  નહિ પણ મને એટલી ખબર તો પડે કે શિક્ષકોને સમજાવવા એ દુનિયાની સૌથી અઘરી બાબત છે..!! શિક્ષકો અમારા જેવા લાખો  વિદ્યાર્થીને સમજાવી શકે, આગળ વધારી શકે, જીવન સુધારી શકે. પણ એજ શિક્ષક્ને અમુક બાબતમાં આપણે સમજાવીએ તો એ લગભગ સમજતા નથી. બાય ધ વે હું  મૂળ મુદ્દા પર આવું છું. હું એક ટોચની કંપનીમાં મેનેજર છું. મારો વાર્ષિક પગાર ૨૪ લાખ છે. ધારું તો હું અમદાવાદ માં રહી શકું પરંતુ ના હું અમદાવાદની બાજુના ગામડામાં રહું છું. મારાં બે સંતાનો એની મમ્મી સાથે જ ભણે છે અને સરકારી શાળામાં જ ભણે છે અને મારી પત્ની અનુરાધા શિક્ષિકા છે. તમને કદાચ નવાઈ લાગશે ને અને લાગવી જ જોઈએને એક ઇન્ટરનેશનલ સ્કુલમાં પહેલેથી ભણેલાં અને એક કંપનીના મેનેજરે એનાં બાળકોને સરકારી શાળામાં શા માટે મુક્યા!!. એ વાત જાણવા માટે તમારે મારી વાત સાંભળવી પડે મિસ્ટર આકાશ પટેલ, સાંભળવી છે વાત તમારે મીસીસ પટેલ??” બોલતા બોલતા વિકાસ પટેલનો અવાજ ગળગળો  બની ગયો. વાતાવરણમાં એક જાતની ગમગીની પ્રસરી ગઈ. અવની અને આકાશ ફાટી આંખે આ બધું સાંભળતાં રહ્યા. આયુષ પણ ગંભીર થઇ ગયો. ઘણીવાર મે અનુભવ્યું છે નાનું બાળક પરિસ્થિતિનો ક્યાસ બહુ જલ્દી કાઢી લેતું હોય છે. એક આંધી પહેલાની શાંતિ હોય તેવું લાગ્યું.

            સાંભળવી છે અમારે વાતઅવનીએ કહ્યું, એણે આયુષને પોતાના ખોળામાં લીધો. વિકાસ ઉભો થયો, આજુબાજુ બે ડગલા ચાલ્યો. ખીસ્સામાંથી સિગારેટ કાઢીને જલ્દી જલ્દી ત્રણ ચાર કશ મારી ને આયુષના  માથે હાથ ફેરવીને કહ્યું..!!

            બસ હું પણ આવડો જ હતોને મારાં મમ્મી પાપા મને અહી લઇ આવ્યામને ધોરણ ૧ માં દાખલ કર્યો. મને એ વખતે તો કોઈ સમજ નહોતી પણ પાછળથી ખબર પડેલી કે મારા મમ્મી પપ્પાને ભડતું નહિ. બહુ નાની એવી વયે મને આ સમજ આવી ગયેલી. અને આમેય સાહેબ જે ઘરમાં માં મમ્મી અને પપ્પા સતત ઝગડતાં હોયને તેના સંતાનો બહુ નાની ઉમરે સમજદાર બની જતાં હોય છે.  સામાન્ય બાળકોની સરખામણીએ અમારામાં સમજણ વહેલા આવી જાય હવે વિકાસે સિગારેટનો ઘા કરી દીધો અને પાછો બાંકડા પર બેઠો વાતને આગળ વધારી.

            મારાં પિતા મહેસુલખાતાનાં એક મોટા અધિકારી અને મારી મમ્મી સચિવાલયમાં સારી એવી પોસ્ટ પર. શરૂઆતમાં મને અહી રડવું આવતું અને આ તમે કબર જુઓ છો ને એ મેરી ડી કોસ્ટાએ મને બચપણનો પ્યાર આપ્યો કેજે મને મારાં માતાપિતા ના આપી શક્યા.  મેરી ને અમે બધાં બાળકો મધર મેરી કહેતા. એ અમને ફરવા લઇ જાય!!  હસાવે , ગમ્મત કરે પણ તોય શરૂઆતમાં અમને ઘર બહુ સાંભરતું. મારાં સદભાગ્ય એટલા સારા કે મેરી મને બધા કરતા વિશેષ સાચવતાં. શરૂઆતમાં દર મહિનાના છેલ્લાં રવિવારે મારાં મમ્મી પાપા મને મળવા આવતાં. દરેક બાળક આ દિવસે ખુબ જ આનંદમાં હોય.અમને પૈસા આપે રમકડાં આપે પણ બીજાનાં મમ્મી પાપા કરતાં મારાં મમ્મી પાપા થોડા અલગ વર્તાવ કરતાં. તેઓ એકબીજા સાથે જાણે ઓળખતા પણ ના હોય તેઓ વ્યવહાર કરતાં. સાંજે પાંચ વાગે તેઓ જતાં ત્યારે મધર મેરીને  અલગ અલગ રીતે મળતાં અનેમારી ભલામણ કરતાં. આવું છ માસ ચાલ્યું. પછી અચાનક એક મહિનો મારી મમ્મી આવે તો એક વખત મારાં પપ્પા આવે. મેં મધરને એક દિવસ પૂછ્યું કે આવું કેમ થાય છે??  મધર કશું બોલ્યાં નહિ બસ મને એની છાતીએ ચાંપીને વહાલ કરતા રહ્યા ત્યારે લગભગ હું બીજા ધોરણમાં હતો. મને પાછળથી ખબર પડેલી કે મારાં માતા પિતાએ એ ડાઈવોર્સ લઇ લીધા છે. સવાલ હવે મારો હતો કે મારું કોણ?કોર્ટ બહાર એવું સમાધાન થયેલું કે જ્યાં સુધી હું અઢાર વરસનો ના થાવ ત્યાં સુધી એક એક મહિનો વારાફરતી એ લોકો મારી ખબર કાઢવા આવે. અને એક નક્કી થયેલ રકમ મારાં ખાતામાં જમા કરાવે. હું એક નો એક દીકરો  એમના અહંને કારણે એક એક મહિના માં વહેચાઈ ગયો હતો.!!

            આ બધી વાતો જ્યારે હું પાંચમાં ધોરણમાં આવ્યોને ત્યારે મધરે મને કરેલી. દિવાળીનું વેકેશન હું પાપાને ત્યાં ગાળું અને ઉનાળાનું  મમ્મીને ત્યાં!!. બને અલગ અલગ રહેતા. પણ પછી જવાનું જ બંધ થયું. કારણકે મારાં પાપા એ અને મમ્મી એ બીજા લગ્ન કરી લીધા હતાં અને મેરી સાથે કહેવાડાવ્યું કે વિકાસ હવે અહી ના આવે. એને કોઈ સમર કેમ્પમાં કે દિવાળી પર યોજાતી કોઈ ટ્રેકિંગ શિબિરમાં ગોઠવી દેજો અને પૈસા તમને મળી જાશે. મારાં મમ્મી પાપા મને પુષ્કળ પૈસા મોકલાવતા પણ હું   વાપરતો જ નહિ ભગવાને આપેલું બચપણ જ હું ના વાપરી શક્યો એ પૈસા શું વાપરી શકે??. હું મધરની સાથે જ રહેતો. મધર આમતો મૂળ કેરળના અને  કાલીકટ શહેરમાં રહે. વરસો પહેલા અહી એમના પતિ સાથે આવેલા અહી આવ્યા બાદ બે વરસમાં એમના પતિનું અવસાન થયેલું ને પછી એમને આ શાળા વાળા એ લેડી રેકટર તરીકે રાખી લીધેલા. એ કાલીકટ લગભગ જતાં નહિ પણ મારો સવાલ થયો કે વેકેશનમાં કયા જવું??  એટલે એ મને વેકેશનમાં ત્યાં લઇ ગયાં. હું એમને ત્યાં બેય વેકેશનમાં જતો. એયને દરીયાકીનારો, નાળીયેરી મને ત્યાં ખુબ જ મજા પડતી. મધરને કોઈ સંતાન નહોતું એ મને દીકરાની જેમ જ રાખતા. ધીમે ધીમે  મમ્મી પાપા ભૂલાવા લાગ્યા. પછી તો એ આવતા પણ બંધ થયાં ફોન પર ખબર પૂછી લે. અને મારું ધ્યાન અભ્યાસમાં લાગ્યું. જ્યારે હું દસમાં ધોરણમાં હતો ત્યારે અચાનક એક વખત મધર મેરી મને ક્લાસરૂમમાં થી બોલાવી ગયાં અને અહીં જ લાવ્યા આ જ બાંકડા પર હું બેઠો અને તમે જ્યાં બેઠા છો ત્યાં મારી મમ્મી બેઠી હતી એની સાથે કોઈ પુરુષ હતો. મધરે ઓળખાણ કરાવી કે આ તારા પિતાજી છે એમને પગે લાગ. તારા મમ્મી એમની સાથે કાયમ માટે કેનેડા જઈ રહ્યા છે.તને છેલ્લી વાર મળવા આવ્યા છે દીકરા. તને આ પૈસા લાવ્યા છે એકી સાથે. પણ માનશો સાહબે  મને કોઈ જ લાગણી ના થઇ. મેં ઘણું મન કર્યું કે હું રડું. મારી માતાને ભેટીને રડું પણ સાહેબ  ખલ્લાસ હું રડી પણ ના શક્યો અને ઉભો પણ ના થયો!!. કોઈ એવી લાગણી મારાંમાં જન્મી જ નહિ. મારી મા રડવા લાગી એ ઉભી થઇ મારી પાસે આવી મને બાથમાં લેવા પણ હું દુર ખસ્યો ને  જીવનમાં મને પેલી વાર જ મધર મેરીએ એક થપ્પડ મારી સાહેબ મેં જીવનમાં  એક જ વખત મેરીની થપ્પડ  ખાધી.અને વિકાસ રોઈ પડ્યો નાના છોકરાની જેમ રોઈ પડ્યો. આકાશે એમની સાથે  લાવેલી પાણીની બોટલમાંથી પાણી પાયું એની પીઠ પર હાથ પસવાર્યો. અવનીની આંખમાં  પણ આંસુ હતાં. આયુષ આ બધું જોઈ રહ્યો હતો. થોડીક વારમાં વિકાસ સ્વસ્થ થયો અને આગળ વાત ચલાવી.

            મારી મા ચાલી ગઈ. હું પણ ત્યાંથી દોડ્યો અને અગાશી પર ગયો ત્યાં દીવાલ સાથે માથું  અથડાયું. માથામાંથી લોહી નીકળ્યું પણ આંખમાંથી આંસુ ના નીકળ્યું. એક બાજુ મારી માતાને છેલ્લી વાર ભેટી ના શક્યો એનું દુખ પણ લાગણી જ ના જન્મી એમાં હું શું કરું??  . મધર પાછળ પાછળ આવ્યા મને એની રૂમ પર લઇ ગયા પાટો બાંધ્યો. મધરની આંખમાં આંસુ હતાં. મેં એની આંખમાં પેલી વાર આંસુ જોયા અને હું એણે ભેટીને મોકળા મને રોયો.મધર પણ રોતા રહ્યા. મને મધર ક્યારેય મારતા નહિ બીજા છોકરા તોફાન કરે તો મધર સોટી લઈને જતાં અને આમેય સાહેબ હું ક્યારેય તોફાન કરતો નહિ ને અને સાહેબ તોફાન તો એ છોકરા કરે કે જે એની માની ગોદમાં અને પપ્પાની પીઠ પર મોટા થયા હોય !! મને એ રાતે સખત તાવ આવ્યો. મધરે આખી રાત મને પોતા મુક્યો. મારું આખું શરીર ધ્રુજે બીજે દિવસે મને એ કારમાં લઈને સિરોહી લઇ ગયાં એક મોટા દવાખાને. મને ત્યાં ત્રણ દિવસ રાખ્યો. મધરે આ ત્રણ દિવસ માં ભાગ્યેજ કશું ખાધું હોય તો બસમારી પાસે બેસી રહ્યા . હું સ્વસ્થ થયો પાછો મને હોસ્ટેલમાં લાવ્યા સાંજે મધર ચર્ચમાં મીણબતી સળગાવીને પ્રાર્થના કરતાં હતાં.

            બારમાં ધોરણમાં હું સેન્ટર ફર્સ્ટ આવ્યો. અને દિલ્હીની કિરોડીમલ કોલેજમાં મને એડમીશન મળી ગયું.મધર મને મુકવા આવ્યા દિલ્હી મને કોલેજ ની હોસ્ટેલમાં એડમીશન મળી ગયું હતું. છેલ્લે મધરે મને એક પાસબુક આપી એમાં ખુબજ મોટી રકમ હતી. મારાં મમ્મી પપ્પા જે પૈસા આપતા એમાંથી બચેલી રકમ હતી. મને પરાણે એ રકમ આપી. હું કોમર્સમાં દાખલ થયો. છેલ્લાં વરસ ના પરિણામના આગલાં દિવસે મને અમદાવાદ થી ફોન આવ્યો એક સ્ત્રીનો અવાજ હતો કોણ વિકાસ બોલ છો આલે તારા બાપ સાથે વાત કર સાલો મરવાં પડ્યો તોય મારો વિકાસ મારો વિકાસ કરે છે અને ફોનનું રીસીવર માંથી મારાં પપ્પાનો અવાજ બેટા વિકાસ એક વાર મળી જ એક વાર મળી જા એક વાર મળી જા.. અને ત્યાં કોઈ એ રીસીવર ખેંચ્યું હોય એવો અવાજ આવ્યો. થોડીવાર પછી મધરનો ફોન આવ્યો. મને કીધું કે તારા પાપા મરણ પથારીએ છે અહી ફોન આવ્યો છે તું અમદાવાદ જલ્દી પહોંચ. હું ગુજરાત મેઈલમાં બેઠો પાપાને મળવા જતો હતો. મગજમાં તરંગો હતાં પણ લાગણી કેમેય કરીને થતી નહોતી.અજમેર વટાવ્યું ત્યાં મોબાઈલમાં પાછો ફોન આવ્યો કે મેરી દાદર પરથી પડી ગયા છે હોસ્પીટલમાં છે. હવે મારું મન ગૂંચવાયું અમદાવાદ જવું કે પછી માઉન્ટ આબુ જવું અને પછી આબુ રોડ ઉતરી ગયો. વરસાદ વરસી રહ્યો હતો કોઈ ટેક્સી વાળો માઉન્ટ પર આવવા તૈયાર નહોતો છેવટે એક બાઈકની પાછળ બેસીને હું અહી પહોંચ્યો ત્યારે જોયું તો મેરીને કોફીનમાં હતાં, દફનવિધિ શરુ હતી. હું રડ્યો સાહેબ ખુબ જ રડ્યો . મારે ત્રણ દિવસ આબુ રોકાવું પડ્યું. મેરી પોતાની તમામ સંપતિ મને આપતા ગયાં હતાં. એતો મેરીનું વિલ જોયું ત્યારે મને ખબર પડી અને સંપતિમાં તો બેન્કની રોકડ રકમ કાલીકટ વાળી થોડી જમીન અને ત્યાનું એક મકાન. આજે પણ વેકેશનમાં હું અને અનુરાધા ફક્ત કાલીકટ જ જઈએ છીએ.એટલામાં વિકાસનો મોબાઈલ રણક્યો, એ ઉભો થયો દુર ગયો અને ફોન પર લગભગ દસ મીનીટસ વાત કરી.વિકાસે વાતને આગળ વધારી.

            અમદાવાદ પહોંચ્યો મારાં ઘરે જ્યાં પહેલા મારાં મમ્મી પાપા રહેતા હતાં. પછી ફક્ત પાપા રહેતા હતાં, અને પછી જઈને ખબર પડી કે હવે ફક્ત ત્યાં નવી મમ્મી જ રહે છે. પાપા તો મને ફોન આવ્યોને ત્યારે જ મારી સાથે વાત કરતા કરતા જ ગુજરી ગયાં હતાં. ઘરે પહોંચ્યો મેં ઓળખાણ આપી ને નવી મમ્મી તાડૂકી અહી હવે શું છે? બાપ તો ગયો ગાજતો મારો વિકાસ મારો વિકાસ કરતો હવે તારે અહી શું દાટ્યું છે, સંપતિમાં ભાગ જોતો છે. વારસો જોતો છે, મેં ના પાડી અને આમેય સાહેબ જેને નાનપણથી જ સ્નેહનો વારસો ના મળે એને સંપતિના વારસાની શી જરૂર. ઘરમાં બીજા ત્રણ પુરુષો હતાં એ કોણ હતાં એ તો નથી ખબર પણ સાહેબ એ લોકોએ મને ઢોર માર માર્યો.મને ઢસડીને દરવાજે લઇ ગયાં અને ત્યારે મારા કાનમાં મારી નવી મમ્મી શબ્દો અથડાયાકોણ જાણે કોનું લોહી હશે, એની માં જ ખરાબ સ્વભાવની હતી એટલે જ એના બાપે છુટા છેડા લીધેલા જાને કોનું પાપ હશે હલકટ સાલોસાહબે મારું મગજ સુન્ન થઇ ગયું . જીંદગીમાં મે બીજાનું શું ખરાબ કર્યું કે હું પાપ થઇ ગયો, હું કઈ રીતે હલકટ !!! સાહેબ હું રોડ પર ચાલતો ગયો બસ ચાલતો જ ગયો બસ મને એટલી ખબર છે કે સામેથી આવતા એક ટ્રક સાથે અથડાયો અને મારી આંખો સામે અંધારા આવી ગયાં. ભાનમાં આવ્યો ત્યારે એક હોસ્પીટલમાં હતો. મારી બાજુમાં એક યુવતી ઉભી હતી.એ અનુરાધા હતી. મને પાછળ થી આ બધી ખબર પડી કે જેવી ટ્રકે ટક્કર મારી કે એની સ્કુટી લઈને પસાર થતી હતી અને જોયું અને એ પછી હોસ્પીટલમાં લઇ ગઈ. દસમાં દિવસે મને ભાન આવેલુ. અને ડોકટર તેજેન્દ્ર શાહે કહેલું કે ઊંડો આઘાત છે, સાચવીને વ્યવહાર કરવો નહીતર આ વ્યક્તિ જીવશે તો ખરો પણ પાગલની પરાકાષ્ટાએ જીવશે અનુરાધા મને એનાં ગામડે લઇ ગઈ બોપલ થી ૧૫ કિમી દુર એનું ગામ આવેલું. એનાં પિતા હેમજીભાઈ એ મારું સાચવવાનું કામ ઉપાડી લીધેલું. હું એમની સાથે ખેતરે જાવ ફાવે એ કામ કરું. અનુરાધા બાજુના જ ગામમાં નોકરી કરે. એ સાંજે આવે ત્યારે વાતો કરે. બરાબર આઠ મહિના પછી હું સ્વસ્થ થયો . મેં જવાની રજા માંગી, મારે દિલ્હી જવું હતું મારે પરિણામ લેવું હતું. આગળનું વિચારવાનું હતું. જતી વેળા અનુરાધા બોલી એકલાં જવું જરૂરી છે, સાથે ના જઈ શકાય, જીવનમાં આપણો કોઈ ખ્યાલ ના રાખે તો આપણે પણ એમ જ કરવું એ જ જીવન છે??? અનુરાધા પાસે આવી બોલી પાપા ને મે પૂછી લીધું છે હું દિલ્હી સાથે આવું છું. દિલ્હી જઈને મેં મારું પરિણામ લીધું સાહેબ કોલેજમાં હું ત્રીજા નંબરે આવ્યો હતો. પ્રોફેસર દેવાદત ને મળ્યો. કહાની કીધી અનુરાધાનો પરિચય કરાવ્યો. એમણે કીધું કે તું અમદાવાદ જ રહે તારે ત્યાં જોબ કરવી જ હોય તો એક મેનેજરની જગ્યા પર ગોઠવી દઉં. હું બોલું એ પહેલા અનુરાધા એ હા પાડી દીધી . મારાં વતી મારો નિર્ણય એણે લઇ લીધો કદાચ આને જ પ્રેમ કહેવાતો હશે. અમે અમદાવાદ આવ્યા. હું નોકરી એ લાગ્યો. મે સાદાઈ થી લગ્ન કરી લીધા.

            એકાદ વરસ બાદ અનુરાધા એ જોડિયા બાળકોનો જન્મ આપ્યો એક દીકરોને એક દીકરી દીકરાનું નામ અનુ પાડ્યું અને દીકરીનું નામ રાધા... અનુ ને રાધા.. અત્યારે બેય બીજા ધોરણ માં ભણે છે.. એમની મમ્મી સાથે..."વિકાસ હવે ઉભો થયો.. બોલ્યો..

            " સાહેબ બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે.. જે સંતાન ને માતા પિતા પૂરતો પ્રેમ કે હૂંફ ના આપી શકે એવા મા બાપે સંતાન પેદા જ કરવાનું ટાળવું જોઈએ.. બાળક 12 વર્ષ સુધી તો માતા પિતા પાસે જ હોવું જોઈએ તો જ તેમના માં લાગણીનું વાવેતર શક્ય બનશે.. સાહેબ લાગણી વગરની સમજ નકામી અને સમજ વગર નો સમાજ નકામો... આજે સમાજમાંથી લાગણી જતી રહી છે સાહેબ.. વાવેતર જ બંધ થઈ ગયું છે.. એક દિવસ આનું વિનાશકારી પરિણામ આવશે.. વિજ્ઞાન કે ટેક્નોલોજી ગમે તેટલા આગળ વધે એ માતાના પાલવ થી ક્યારેય મોટા ના હોઈ શકે... ક્યારેય નહીં.... આજે સમાજનું એલિવેશન જ સારું છે બાકી એના પાયામાં લાગણીવિહીનતા નો લૂણો લાગ્યો છે..." વિકાસે પૂરું કર્યું.. પાણી પીધું .. આકાશ અને અવની શોકમાં ગરકાવ હતા છેવટે આકાશ બોલ્યો..

            "તમે પેલી ગાડીમાં જ આવ્યા ને અમને તમારી ગાડીમાં અમદાવાદ સુધી લઈ જશો..

            "હા સ્યોર. મને ગમ્યું." વિકાસે સ્મિત આપીને કહ્યું.. અને આબુના ઢોળાવ વાળા રસ્તા પર ગાડી ચાલી રહી હતી.. આગળ આકાશ અને વિકાસ પાછળ અવની અને આયુષ આયુષ એનાં મમ્મી ના ખોળામાં હતો.. એને હવે મમ્મીના ખોળામાં જ એડમિશન મળી ગયું હતું.. દુનિયામાં સહુથી ભાગ્યશાળી એ જ બાળક કે જેને ભણવા માટે મમ્મી નો ખોળો મળે.. અને ફરી વાર એક વાત વિજ્ઞાન કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે માતાના પાલવ કરતા એ ક્યારેય મોટી નહીં હોય....આભાર..

 

લેખક.. મુકેશ સોજિત્રા

Thursday, November 11, 2021

શું તમારે વાસ્તુશાસ્ત્રની જરૂર છે?

એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો.

જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને100 વરસ જૂનું લિચી નું ઝાડ હતું.

એ જગ્યા એમણે એ લિચી ના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી.

કેટલાક સમય પછી એમણે Renovation નું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.

જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને
Hongkong ના 30 વરસથી વાસ્તુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ
Master Cao  ને બોલાવી લીધા.

એમને Airport થી લીધા, બન્ને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા.

રસ્તામાં કોઈપણ કાર એમને Overtake કરવાની કોશિશ કરે, એ એને રસ્તો આપી દેતા.

Master Cao એ હસતા હસતા કહ્યું તમે ખૂબ Safe driving કરો છો. એણે પણ હસતા હસતા જ કીધું કે લોકો હમેશા Overtake ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તો આપણે એમને રસ્તો આપવો જોઈએ.

ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી.ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો.એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા, જેમ કે એને કોઈની રાહ હોય, ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.
Master Cao એ હેરાનીથી પૂછ્યું - તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?

એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.

Master Cao આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિઃસંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.

ઘર સુધી, પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા,ત્યાં અચાનક ઘરની પાછળથી  7-8 પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે Master Cao ને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?

Master Cao એ કારણ જાણવા માગ્યુ તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશેકે ઝાડ પર થી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે.

Master Cao..... થોડો સમય

ચૂપ રહયા,પછી સંયમિત અવાજમાં બોલ્યા,
મિત્ર,
આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણ ની કોઈ આવશ્યકતા પણ નથી.

એણે ખૂબ હેરાનીથી પૂછ્યું, કેમ?

Master Cao
જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય,
એ સ્થાન/સંપત્તિ વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર-સુખદાયી-ફળદાયી જ રહેશે.

જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.

જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયં ની પહેલા બીજાનું ભલુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.

જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે.

ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય,જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્ર તંત્ર ની આવશ્યકતા જ  ન રહે.